ઘરકંકાસે એક જ મહિનામાં પલસાણા ગામના પરિવારનો ભોગ લીધો
કલોલ તાલુકાના પલસાણાના યુવકે બે પુત્રીઓ સાથે રામનગરની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. પત્નીનો મોતનો આઘાત સહન ન તથા યુવકે ગુરૂવારે બપોરે બે પુત્રીઓ સાથે કેનાલમાં ઝપલાવી દીધું હતું. પલસાણાના પ્રજાપતિ વાસમાં રહેતાં ભાવેશ એમ પ્રજાપતિ નામના યુવકની પત્ની મનિષાએ એક મહિના પહેલાં જ ઝેરી દવાની આપઘાત કરી લીધો હતો. આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ યુવકે આપઘાત પહેલાં સુસાઈડ નોટ લખી છે જેમાં તેણે લખ્યું છે કે,‘ મનિષા વગર હું જીવી શકતો ન હતો અને રોજ મરી રહ્યો હતો, એટલે મે આ પગલું ભર્યુ છે.
મારી છોકરીઓને મારી સાથે લઈ જાવ છું, કારણ કે એમની જીંદગી મમ્મી વગર કેવી રીતે જાય અને કોઈના ઉપર મારી દીકરીઓ બોજ ન બને. ઘરના માનસિક તણાવ ભરેલા વાતાવરણના કારણે અમારે બંનેને અલગ રહેતું હતું પણ અને રહેવા ન દેવાયા એટલે મનિષાએ આ પગલું ભર્યું અને મે પણ ભર્યું.’ ઉલ્લેખનીય છે કે 35 વર્ષીય ભાવેશ પ્રજાપતિ સવારે 11 વાગ્યે પોતાની 5 અને 3 વર્ષની બંને દીકરીઓને લઈને નીકળ્યો હતો. ઓનલાઈન અભ્યાસ માટે ઝેરોક્ષ કરાવવાનું કહીંને નીકળેલા યુવકે રામનગરની કેનાલમાં જઈને ઝપલાવી દીધું હતું. જે અંગે જાણ કરતાં દોડી આવેલી પોલીસે ત્રણેયના મૃતદેહોને બહાર કાઢીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
દીકરીઓના નામે અનાથ આશ્રમમાં દાન કરજો
યુવકે સુસાઈડ નોટમાં તેના પીએફની રકમ, શેર વેચીને જે પૈસા આવે તે દીકરીઓના નામે અનાથ આશ્રમમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી અને પોતાના ભાગે આવતી જમીન, મકાન, ગાડી પણ અનાથઆશ્રમમાં દાન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. તો પત્ની પ્રતાપપુરામાંથી જે સામાન લાવી હતી તે વસ્તુઓ ફીક્સ ડિપોઝિટના પૈસા તેના પિયરમાં આપી દેવા કહ્યું છે. યુવકે સાસુ-સસરાને સંબોધીને બધુ પોતાની બંને દીકરીના નામે દાન કરવા લખ્યું છે.