આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભપાંચમ છે. આ દિવસે ગણેશ, લક્ષ્મી, સરસ્વતી તેમજ ઇષ્ટદેવનું પૂજન કરવામાં આવે છે.
આ દિવસ નવા કામની શરૂઆત માટે પણ શુભ માનવામાં આવે છે. વેપારીઓ આ દિવસે શુભ ચોઘડિયામાં તિજોરી, વેપારમાં ઉપયોગમાં લેવાતા કાંટાનું પૂજન કરે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ વેપારીઓ પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે. આ દિવસે શ્રીસૂક્તનું પઠન કરવાનું આગવું મહત્વ છે.
આ રીતે કરો લાભપાંચમ પર પૂજા
સવારે સૂર્યોદય પહેલા ઊઠી સ્નાનાદિ કર્મથી પરવારી અને એક બાજોટ પર ગણેશની પ્રતિમા અને ગણેશ સ્વરૂપ સોપારી પર નાળાછડી વિંટાળીને ચોખાના આસન પર ગણેશજીની સ્થાપના કરો. ભગવાનને કેસરી ચંદન, ચોખા, સિંદુર, ફૂલ, દુર્વા અર્પણ કરી પૂજા કરો. ગણેશને ભોગમાં બુંદીના લાડુ ધરાવવા અને નીચે આપેલા મંત્રનો 108 વાર જાપ કરવો.
મંત્ર
लम्बोदरं महाकायं गजवक्त्रं चतुर्भुजम्।
आवाहयाम्यहं देवं गणेशं सिद्धिदायकम्।।
મંત્ર જાપ બાદ કપુર આરતી કરવી અને સિંદુરથી વહીખાતાઓ અને ઘર તેમજ ઓફિસ કે કાર્યસ્થળના દરવાજા પર સાથિયા કરવા. સંધ્યા સમયે પણ સ્નાનાદિ કરી સફેદ વસ્ત્રો ધારણ કરી અને ગણેશજીની પૂજા કરવી. બીજા દિવસે પૂજામાં જે સોપારીનો ઉપયોગ કર્યો હોય તેને તિજોરીમાં મુકી દેવી. આવનારા વર્ષમાં ધનની ક્યારેય કમી નહીં રહે. સમૃદ્ધિ કાયમી રહેશે.