ચોક્કસ ઇસમો સાથે ચાલતી તકરારમાં પતાવી દેવાયાની શંકા
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો
મોરબીના માળિયા વનાળિયા વિસ્તારમાં રહેતા યુવકને તેના જ મિત્રએ છરીના ઘી ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ચોક્કસ ઇસમો સાથે ચાલતી તકરારમાં યુવકની તેના મિત્ર બાવાજી શખ્સે હત્યા કર્યાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મોરબીના માળિયા વનાળિયા વિસ્તારમાં રહેતા પ્રદીપ વિનોદભાઇ મકવાણા નામના 25 વર્ષના યુવકને રવિવારે રાત્રે લોહિયાળ હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મકવાણા પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, પ્રદીપ તેના ઘર નજીક એ વિસ્તારમાં જ રહેતા તેના મિત્ર કેવલ બાવાજીના ઘર પાસે હતો ત્યારે કોઇ મુદ્દે માથાકૂટ થતાં કેવલે મિત્ર પ્રદીપને છરીના ઘા ઝીંકી દીધા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રદીપ બે ભાઇમાં નાનો હતો અને અપરિણીત હતો, તે તેના પિતા સાથે કામ પર જતો હતો. પ્રદીપના ઘર પાસે ચોક્કસ ઇસમો દારૂ પી અવારનવાર માથાકૂટ કરતા હોય તે મામલે પ્રદીપને કેટલાક સમય પહેલા ચોક્કસ ઇસમો સાથે બોલાચાલી થઇ હતી.
કેવલ પણ તે ઇસમોનો મિત્ર હોય કાવતરું રચી પ્રદીપની હત્યા કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. રાજકોટ પોલીસે જાણ કરતા મોરબી પોલીસ રાજકોટ આવવા રવાના થઇ હતી. યુવાન પુત્રની હત્યાથી મકવાણા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.