રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા, 4680 ઘરમાં ફોગિંગ કરાયું.
દિવાળીના તહેવારો બાદ રોગચાળાએ માથુ ઊંચક્યું છે. તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. સિવિલમાં કેસ બારીએ લોકોએ લાંબી લાઇન લગાવી છે. બીજી તરફ કોરોનાનું પણ સંક્રમણ વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. ગઇકાલે રાજકોટમાં એકસાથે કોરોનાના 4 કેસ નોંધાયા હતા. આથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે.
એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા
ડેન્ગ્યુના કેસ છેલ્લા 3 સપ્તાહથી વધી રહ્યા છે કારણ કે, અત્યાર સુધી ડેન્ગ્યુના ટેસ્ટ કરવા માટે માત્ર સિવિલ પાસે એક જ લેબ હતી પણ હવે એન્ટિજન કિટ આવી છે જેથી ઝડપથી ટેસ્ટ થઈ શકે છે. આ કારણે ટેસ્ટ કરવાની સંખ્યા વધતા વધુમાં વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. 1 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન ડેન્ગ્યુના 46 કેસ સાથે કુલ 319 કેસ થયા છે. આ સિવાય મલેરિયાના 48 જ્યારે ચિકનગુનિયાના 22 કેસ થયા છે.
10 બાંધકામ સાઈટ અને 15 કારખાનાને નોટિસ
આરોગ્ય શાખાએ એક સપ્તાહ દરમિયાન 425 મિલકતમાં ચેકિંગ હાથ ધર્યું હતું, આ ઉપરાંત મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો હોય તેવા 836ને નોટિસ અપાઈ હતી અને 12000નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. આ પૈકી 38 બાંધકામ સાઈટમાં તપાસ કરાતા 10માં મચ્છર ઉત્પત્તિ જણાતા નોટિસ અપાઈ હતી તેમજ 5 પાસેથી વહીવટી ચાર્જ લેવાયો હતો. 15 કારખાનામાં મચ્છરના પોરા દેખાતા નોટિસ અપાઈ હતી.
મનપાએ દિવાળીમાં પણ પોરાનાશક કામગીરી ચાલુ રાખી
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દિવાળી તેમજ બેસતા વર્ષના દિવસે પણ સક્રિય રહી હતી અને પોરાનાશક કામગીરી તેમજ ફોગિંગ સહિતની ફિલ્ડ વર્કની કામગીરી કરી હતી. એક સપ્તાહમાં 46631 ઘરમાં પોરાનાશક કામગીરી તેમજ 4680 ઘરમાં ફોગિંગ કરાયું હોવાનું મનપાએ જણાવ્યું છે.
આ વિસ્તારોમાં વધુ મચ્છરો દેખાતા વાહનથી રોડ પર ફોગિંગ કરાયું
શહેરના પ્રહલાદ પ્લોટ, આદર્શ વાટિકા સોસા., ખોડિયાર૫રા, સૂરજ- 2, પામ યુનિવર્સલ, વસંતવિહાર, પાટીદાર ચોક, મોટામવા, કેવડાવાડી સહિતના વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરી હતી.