સમાજસેવા કરવાની પિતાની સલાહને ડોક્ટર દીકરાએ આત્મસાત્ કરી
આવકની 10 ટકા રકમ અને કામમાંથી સમય કાઢીને સેવા કરવાની સલાહને અનુસરી
ચાર વર્ષમાં 10,500 જવાનોનું હેલ્થ ચેકઅપ કર્યું છે.
આવકની 10 ટકા રકમ અને કામમાંથી અમુક સમય કાઢીને સામાજિક સેવા કરવાની પિતાની સલાહને દીકરાએ આત્મસાત કરી લીધી. ડોક્ટર બની ગયેલા દીકરાએ એનજીઓ બનાવી સમાજ સેવા કરવાનું શરૂ કર્યું. દરમિયાન ગુજરાતની બોર્ડર ઉપર તૈનાત આર્મી જવાનોના સ્વાસ્થ્યની ચિંતાને લઇને તેમણે બોર્ડર ઉપર જઇને જવાનોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરવાનું શરૂ કરી દીધું. છેલ્લાં ચાર વર્ષમાં જ તેમણે એનજીઓ મારફતે 10,500 જેટલા આર્મી જવાનોનું હેલ્થ ચેકઅપ કરીને તેમના રોગનું નિદાન કરી રહ્યાં છે.
જશોદાનગરના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ડો. પ્રકાશ કુર્મીએ જણાવ્યું હતું કે, મારા પિતાએ સમાજ સેવા કરવાની સલાહ આપી હતી. તેને આત્મસાત કરીને વર્ષ 2007થી ટ્રસ્ટ બનાવીને વિવિધ સેવા કરું છું. ત્યારે વર્ષ 2016માં કચ્છ સરહદના એક ગામમાં મેડિકલ ચેકઅપ કરવા માટે ગયો હતો. ત્યાં એક આર્મી જવાન પણ હેલ્થ ચેકઅપ કરાવવા આવ્યો હતો. તે જોઇને સરહદ ઉપર દેશની રક્ષા કરતા આર્મી જવાનોના સ્વાસ્થ્ય માટે કંઇક કરવાનો વિચાર આવ્યો. એટલે ગુજરાતની પાકિસ્તાન સરહદ ઉપર તૈનાત જવાનો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કરીને તેમની સારવાર કરવાનું શરૂ કર્યું. સપ્તાહના અંતિમ દિવસોમાં કચ્છ, કોટેશ્વર, હરામીનાળા, લકીમાળા જખૌ, સરક્રીક સહિતની અનેક જગ્યાએ નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે સરહદ ઉપર ટૂ-ડી ઇકો અને સોનોગ્રાફી મશીનો સાથે જઇને મેડિકલ ચેકઅપ કરીને તેના માટે જરૂરી દવાઓ પણ આપીએ છીએ. ચાર વર્ષમાં 10,500 જવાનોનું હેલ્થ ચેકઅપ કર્યું છે.
બોર્ડર ઉપર વીજળી પહોંચી નથી તેવી પોસ્ટ ઉપર 240 જેટલી સોલાર પેનલ પણ ભેટ આપી છે
આર્મી જવાનોની જે પોસ્ટ ઉપર વીજળી પહોંચી નથી ત્યાં ટ્રસ્ટ તરફથી અત્યાર સુધી 240 જેટલી સોલાર પેનલ અપાઇ છે. આગામી સમયમાં વધુ સોલાર પેનલ અને નડાબેડ પોસ્ટ ઉપર ત્રણ મહિનામાં પાંચ હજાર વૃક્ષો વાવવાનું આયોજન પણ કર્યું હોવાનું ડો. કુર્મીએ જણાવ્યું છે.