હસતા રમતા પરિવારનો માળો વીખેરાઈ ગયો
ઘોડિયામાં સૂતેલી 3 માસની પુત્રીને પણ જ્વલનશીલ પદાર્થ છાંટી સાથે રાખી : ત્રણેયનાં મોત
ચલાલામાં(અમરેલી )ઘર કંકાસના કારણે મહિલાએ બે માસુમ દિકરીઓ સાથે મળીને ત્રણેએ સામૂહિક રીતે અગ્નિસ્નાન કરી લેતા ત્રણેના તેના ઘરમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે.
ચલાલામાં હરિધામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ દેવમુરારી અનાજ દળવાની ઘંટી ચાલાવે છે અને તા.ર1ના બપોરે તેઓ પોતાના કામ માટે ગયા હતા ત્યારે બપોરે બારેક વાગ્યાના અરસામાં ઘરમાં રહેલા તેમના પત્ની સોનલબેન ભરતભાઈ દેવમુરારી (ઉ.વ.40) તેમની સગીરવયની મોટી પુત્રી હિતાલી ભરતભાઈ દેવમુરારી (ઉ.વ.14) તથા સૌથી નાની પુત્રી ખુશી જે ત્રણ માસની છે તે ત્રણેએ સામુહિક રીતે અગ્નિસ્નાન કરી લીધું હતું જેના કારણે ત્રણેનું મૃત્યું થયું છે. ઘટનાની જાણ થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ત્રણેને ચલાલા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ અંગે સાવરકુંડલાના ડિવાયએસપી કે. જે. ચૌધરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, ઘરકંકાસના કારણે ત્રણેએ સામૂહિક રીતે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચીને તપાસ શરુ કરી દેવામાં આવી છે. હાલમાં તો પોલીસ દ્વારા આ ઘટનામાં અકસ્માત મોતની નોંધ દાખલ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાાં હજુ ત્રણેક દિવસ પહેલા જ સાવરકુંડલાના ભમ્મર ગામમાં એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક રીતે ઝેરી દવા પી લીધી હતી અને તમામને એક સાથે સારવાર માટે ખસેડાયા હતા. જો કે એ બનાવમાં સદ્દભાગ્યે તમામની જાન બચાવી લેવામાં આવી હતી.