ગાંધીનગરના રાયસણ સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં GNLU ની સેન્ટર ફોર લો એન્ડ સોસાયટી, લીગલ સર્વિસીસ કમિટી, NSS અને ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં 179 વિદ્યાર્થીઓ અને 9 ફેકલ્ટી એ સ્વૈચ્છિક રક્તદાન કરી ઉમદા કાર્યમાં સહભાગી થયા હતા. આ નિમિત્તે વિધાર્થીઓને થેલેસેમિયા અંગેની તલસ્પર્શી માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી.
સતત વધતા જતાં અકસ્માતો અને થેલેસેમિયા, બ્લડ કેન્સર કે હેમોફેલિયા જેવી ગંભીર બિમારીઓની સારવાર કે ડાયાલિસિસ માટે જરૂરી રક્ત પુરવઠો જળવાઇ રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં GNLU ની સેન્ટર ફોર લો એન્ડ સોસાયટી, લીગલ સર્વિસીસ કમિટી, NSS અને ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું GNLU ના ડાયરેક્ટર એસ. શાંથાકુમારે દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરના ઉમદા કાર્યમાં ખૂબ મોટી સંખ્યામાં જીએનએલયુના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જે અન્વયે 179 વિદ્યાર્થીઓ અને 09 ફેકલ્ટી અને સ્ટાફ સભ્યોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત તમામ લોકોને થેલેસેમિયા વિશે તલસ્પર્શી સમજ આપવામાં આવી હતી અને રક્તદાતાઓની થેલેસેમિયાની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રક્તદાન અંગેની ખોટી માન્યતાઓ દૂર કરી વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા વિશે જાગૃતિ માટે નિષ્ણાતો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં લોકોને બ્લડ સાથે જોડાયેલ ઘણા પ્રકારની બીમારી થાય છે. થેલેસેમિયા પણ લોહી સાથે સંબંધિત બીમારી છે. થેલેસેમિયા અંતર્ગત હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયા ખુબ ખરાબ રીતે અવ્યવસ્થિત થઇ જાય છે. જેના કારણે રેડ બ્લડ સેલ્સની સંખ્યા ઓછી થવા લાગે છે.
થેલેસેમિયા શું છે?
થેલેસેમિયાએ આનુવંશિક રક્ત વિકાર છે. જે માતાપિતામાંથી બાળકો સુધી પહોંચે છે. થેલેસેમિયાના કારણે હિમોગ્લોબીનના કાઉન્ટ ઘટી જાય છે. જેની અસર લાલ રક્તકણોના સર્જન પર પણ પડે છે. આ રોગની ગંભીરતા થેલેસેમિયાના પ્રકાર પર આધાર રાખે છે.જો બીમારી ધરાવતા દંપતીને બાળક હોય તો બાળકમાં આ રોગ ગંભીર સ્વરૂપ લઇ શકે છે. જેથી થેલેસેમીયા, તેના લક્ષણો અને કારણો સહિતની બાબતોમાં જાગૃત થવું અનિવાર્ય બન્યું છે.
થેલેસેમીયાના અલગ અલગ પ્રકાર હોય છે
થેલેસેમીયા મેજરમાં જીવનભર નિયમીત રીતે બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન અને આઇરન ચેલેશનની જરૂર પડે છે. થેલેસેમીયા ઇન્ટરમીડિયામાં બે વર્ષની ઉંમરમાં જ થેલેસેમીયા હોવાની જાણ થઈ જાય છે. તેઓની સતત દેખરેખ રાખવી પડે છે અને જ્યારે જરૂર પડે ત્યારે બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન કરવુ પડે છે. જ્યારે થેલેસેમીયા માઇનોર વસ્તીના 4 થી 5% લોકો થેલેસેમીયા માઇનોરના વાહક હોય છે. તેમનું Hb 9 થી 12gm% હોય છે.લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ (HbA2) કરાવવા માટે લોકોને જગૃત કરીને થેલેસેમીયાગ્રસ્ત બાળકોને જન્મતા અટકાવી શકાય છે. જો તેમનો HbA2 3.5gm%થી વધુ હોય તો તેઓ કેરીયર છે અને તેમને અન્ય કેરીયર સાથે લગ્ન ન કરવા જોઈએ. જો આપણે બે કેરીયર વચ્ચેના લગ્નને અટકાવી શકીએ તો આપણે થેલેસેમીયા મેજર ધરાવતા બાળકના જન્મને અટકાવી શકીએ છીએ.