ગાંધીનગરના શેરથા ગામની સીમ ટોલ પ્લાઝા નજીક લગ્ન કરીને કલોલ તરફ જતાં નવ યુગલની ફૂલોથી સજાવેલી કારને આંતરી રૂ. 21 હજાર બક્ષિસ પેટે માંગીને ચાર કિન્નરોની ટોળકીએ સતત તાળીઓ પાડવાનું શરૂ કરી દેતાં વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આખરે માંગણી મુજબની બક્ષિસ નહીં મળતા કિન્નર ટોળકીએ કારને નુકસાન કરી રૂ. 98 હજારની સોનાની ચેઇન લુંટી લઈ આતંક મચાવી દીધો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કલોલ વિભાગ – 2, યોગીકૃપા કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં રહેતાં એડવોકેટ સમીર નવીનચંદ્ર બારોટનાં કાકાના દીકરા અચલ હર્ષદભાઈ બારોટના લગ્ન ગત તા. 24 મી જાન્યુઆરીના રોજ અમદાવાદ મુકામે ગાયત્રી પ્રજ્ઞાપીઠ, હાથીજણ ગામ ખાતે રાખવામાં આવ્યા હતા. આથી સમીરભાઈ પોતાની કારને ફૂલોથી સજાવેલી ગાડી લઈને લગ્ન પ્રસંગે ગયા હતા.
બાદમાં લગ્ન પૂર્ણ થતાં અચલ અને તેની પત્ની ધરતી સહિતના લોકો ગાડીમાં કલોલ જવા રવાના થયા હતા. તે દરમ્યાન શેરથા ટોલ પ્લાઝા નજીક કલોલ તરફ જતાં રોડ ઉપર પહોંચતા જ ત્રણથી ચાર કિન્નરોએ કારને ઘેરી લીધી હતી. અને વરકન્યાને જોઈ રૂ. 21 હજારની બક્ષિસ માંગવા લાગ્યા હતા. ત્યારે સમીરભાઈએ મુહૂર્ત પ્રમાણે વિધિ કરવાની બાકી હોવાનું કહી મોડું થાય છે એમ કહ્યું હતું. જેથી કિન્નરો ગાડીનાં બોનેટ ઉપર હાથ મૂકીને ઉભા રહી જોરશોરથી તાળીઓ પાડવા લાગ્યાં હતાં.
જેઓને રૂ. 500 આપવા છતાં માન્યા ન હતા. એ વખતે સમીરભાઈ ગાડી લઈને નીકળવાનું કરતાં હતાં એટલે કિન્નરોએ વધુ જોરથી તાળીઓ પાડવાનું શરૂ કરી ગાડીના બોનેટ ઉપર પણ હાથ પછાડવા માંડ્યા હતા. અને ફુલહાર તોડી ગાડીનો જમણી સાઇડનો સાઇડ ગ્લાસનો મીરર તોડી જબરજસ્તીથી દરવાજા ખોલી નાખ્યા નાખી એડવોકેટ સમીરભાઈની ફેંટ પકડી લીધી હતી. જેનાં કારણે તેમનો ઝભ્ભો ફાટી ગયો હતો. ત્યારે ચાર પાંચ પૈકીના એક કિન્નરે અંદાજીત રૂ. 98 હજારની કિંમતની સોનાની ચેઇન લુંટી લીધી હતી.અને ગાડીમાં તોડફોડ કરી ચાર હજાર જેટલું નુકશાન પહોંચાડયું હતું. જો કે એ સમયે વરવધૂને લઈ જવાના હોવાથી ફરિયાદ કરી ન હતી.