કલોલ તાલુકાના વડસ્મા ખાતેની આયુર્વેદ હોસ્પિટલમાં આગામી સમયમાં યુગાન્ડાથી દર્દીઓ સારવાર માટે આવશે. તેમજ અમારા દેશમાં આયુર્વેદ ચિકિત્સા અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરીશુ, તેમ વડસ્મા ખાતે હાજર રહેલા યુગાન્ડાના ડે. હાઈ કમિશ્નર માર્ગારેટ યોગીરે જણાવ્યુ હતું.
સૂત્રોએ જણાવ્યું કે યુગાન્ડાના ડેપ્યુટી હાઈ કમિશ્નર શ્રીમતી માર્ગારેટ યોગીરે અને ઓફિસ ઇન્ચાર્જ ઓફ કોમર્શિયલ એન્ડ ડિપ્લોમાસી બિરુનગી સોફીએ બુધવારે હિમાલય આયુર્વેદ ચિકિત્સલાય, મહાવિદ્યાલય વડસ્મા અને સંલગ્ન સત્સંગી સાકેત ધામ રામ આશ્રમ સંકુલની મુલાકાત લીધી હતી.
ત્યારે સંકુલની પ્રવૃતિઓ અને હિમાલય આયુર્વેદ ચિકિત્સલાયનું નિરિક્ષણ કરી તેઓ પ્રભાવિત થયા હતાં. તેમનું પોતાનું પ્રકૃતિ પરીક્ષણ અને શિરોધારા ટ્રીટમેન્ટથી તેઓ ખૂબ જ સંતુષ્ટ થયા હતા અને તેમણે જણાવ્યું કે આવનારા નજીકના સમયમાં જ યુગાન્ડાથી દર્દીઓ હિમાલય આયુર્વેદ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવશે.
તેમજ વખતોવખત તેઓ પણ આ આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લેતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે પોતાના દેશ યુગાન્ડામાં તેઓ આયુર્વેદ ચિકિત્સા અને હિમાલય આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરતા રહેશે. આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરતકુમાર રાવ, ટ્રસ્ટી હિમાલય રાવ, યુગાન્ડાના ઉદ્યોગપતિ મિરાજકુમાર બારોટ અને હિમાલય આયુર્વેદની ટીમ ઉપસ્થિત રહી હતી.