અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત રીતે સંભવિત સૌથી મોટું દાન : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સૌથી મોટુ દાન આપવામાં આવ્યું છે. નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબેનના ભાઈ નરેન્દ્રભાઈએ અમેરિકાથી અમદાવાદ આવીને સિવિલ હોસ્પિટલને 75 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતાં. આ ઉર્વશીબેનની અંતિમ ઈચ્છા હતી. તેઓ બીમાર રહેતા હતાં અને તેમણે પોતાની વસિયતમાં લખાવી દીધું હતું કે, આ મિલકતનો મંદિરમાં નહીં પણ સીધી રીતે લોકોના ઉપયોગમાં આવે તે રીતે દાન કરજો.
ઉર્વશીબેને જીવનપર્યંત જનઉપયોગી કાર્યો જ કર્યાં છે
નરેન્દ્રભાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે, મારા બહેન ઉર્વશીબેને જીવનપર્યંત જનઉપયોગી કાર્યો જ કર્યાં છે. તેમણે પાઇ-પાઇ ભેગી કરીને ઘર પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. તેઓ સાડીની દુકાન ચલાવતાં હતાં. તેઓ જીવનભર આત્મનિર્ભરતાની વિચારધારાનું પાલન કરીને કાયમ પગભર જ રહેલાં. ગયા વર્ષ બીમારીના કારણે જાન્યુઆરી મહિનામાં જ તેમનું નિધન થયું હતું. જિંદગીના છેલ્લા દિવસોમાં તેમણે આ લોકકલ્યાણનું કાર્ય કરવા દાન કરવાની અંતિમ ઇચ્છા પોતાના વિલમાં દર્શાવી હતી.
ઉર્વશીબેનના ભાઈએ સિવિલમાં 75 લાખનું દાન કર્યું
નરેન્દ્રભાઈએ ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલના સેવા કાર્યો વિશે અમને અવાર-નવાર જાણ થતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં જરૂરી સાધન સામગ્રી, ઉપકરણો, વોર્ડમાં જરૂરી સેવાઓ ઉપલ્બધ બને તેવા ઉમદા હેતુથી અમે આ દાન કર્યું છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમારા ધ્યાન મુજબ નરેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવેલ રૂ. 75 લાખનું દાન વ્યક્તિગત સ્તરે સૌથી મોટું દાન છે.
લોકો સિવિલ હોસ્પિટલને પ્રાથમિકતા આપે છે
રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને તમામ પ્રકારની સુવિધાઓ, જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલને પ્રાથમિકતા આપતા હોય છે. સમાજ અને સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલનાં સેવાકીય કાર્યોનો રથ અવિરતપણે આગળ ધપી રહ્યો છે. સમગ્ર સિવિલ હોસ્પિટલ તંત્ર નરેન્દ્રભાઈનો અને સદગત ઉર્વશીબહેનનો આ મહાદાન બદલ આભાર માનીએ છીએ.