હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે આંખ વિભાગમાં દાખલ પ્રાંતિજના મીઠુંબેન પ્રજાપતિ,અરવિંદભાઈ વણકર દર્દીઓના તમામ રીપોર્ટ બાદ મોતિયાના ઓપરેશન માટે તારીખ આપી હતી, પરંતુ ઓપરેશન થયું ન હતુ. જેને લઈને દર્દીઓ અને સગાઓએ આરએમઓને રજૂઆત કરી હતી. આર.એમ.ઓ. ડૉ. એન.એમ. શાહે આંખના તબીબ ડૉ. કિરણબેન પટેલને અનેકવાર ફોન કર્યા હતા, પરંતુ ડૉ. કિરણબેન પટેલે એકપણ વાર ફોન રિસીવ કર્યો ન હતો. જેને લઈને સિવિલ સર્જનને આ ફરિયાદની જાણ કરી હતી. આ અંગે પ્રાંતિજના રહેવાસી દર્દીના પુત્ર ભુપેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારા દાદીને સિવિલ હોસ્પીટલમાં મોતિયાના ઓપરેશન માટે લઈને આવ્યો હતો. ત્યારબાદ તેને લગતા અલગ અલગ રીપોર્ટ કરાવ્યા હતા. જેને લઈને આંખ વિભાગના ડૉ. કિરણબેન પટેલે સોમવારે ઓપરેશન કરવાની તારીખ આપી હતી.
સોમવાર બાદ તબીબે મંગળવારની તારીખ આપી હતી, પરંતુ આજે પણ ઓપરેશન કરવામાં આવ્યું ન હતું. હું પોતે તબીબને પૂછવા ગયો હતો. આજે સિવિલમાં લાઈટ નથી તેના કારણે ઓપરેશન થઇ શકશે નહિ, હવે તમને નવી તારીખ આપવામાં આવશે. ત્યારબાદ મારી બહેન તબીબ પાસે મળવા ગઈ ત્યારે તબીબે મશીન ખરાબ હોવાની વાત જણાવી હતી. તો પ્રાંતિજના દર્દી અરવિંદભાઈ વણકરે જણાવ્યું હતું કે, મારા મોતિયાના ઓપરેશન માટે રીપોર્ટ કરવ્યા હતા. બધા રીપોર્ટ નોર્મલ આવતા મને 16 જાન્યુઆરીએ સોમવારે ઓપરેશન કરવાની તારીખ આપી હતી. પણ ગઈ કાલે મારું ઓરેશન ના થયું અને મંગળવારે પણ મારું ઓપરેશન ના કર્યું. છેવટે હિંમતનગર સિવિલમાં શુક્રવારે આંખ વિભાગમાં ઓપરેશન માટે દાખલ થયેલા બંને દર્દીઓના ઓપરેશનની તારીખો પડી રહી છે. આમ મોતિયાના ઓપરેશન માટે દાખલ દર્દીઓના ક્યારે ઓપરેશન થશે તે એક સવાલ છે.
ત્યારે આ અંગે ઇન્ચાર્જ સિવિલ સર્જન અજય મુલાણીએ જણાવ્યું હતું કે, સિવિલમાં લાઈટ નથી માટે ઓપરેશન થઇ શક્યું નથી. તો આ અંગે પીઆઈયુ વિભાગના ઈલેક્ટ્રીકલ એન્જિનીયર ધવલ પટેલે જણાવ્યું હતું કે, મંગળવારે રીપેરીંગ માટે લાઈટ સવારે 8.45થી બપોરે 1.45 વાગ્યા સુધી બંધ હતું. ત્યારબાદ શરુ થઇ ગયું હતું. તો જનરેટર ચાલુ કરવામાં આવે તો ઓપરેશન થીયેટરમાં તમામ પ્લગમાં સપ્લાય નથી. જે અગામી 15 દિવસમાં કરી દેવાની વાત કરી હતી.