16 વર્ષની કિશોરી પર બળાત્કારના કેસમાં જોધપુરની સૅન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામને વધુ એક દુષ્કર્મના કેસમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટે દોષીત ઠેરવ્યા છે. જે અંતર્ગત આજે કોર્ટ દ્વારા આસારામને સજા સંભળાવવામાં આવશે. ત્યારે આસારામ બાપુને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવશે.
9 વર્ષથી ચાલતા આ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યા
સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને દોષીત જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત અને 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.છેલ્લા 9 વર્ષથી ચાલતા આ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષી જાહેર કર્યા છે. આ ગુનામાં આસારામને શું સજા થશે તે અંગે વકીલોની દલીલો બાદ આજે સજા જાહેર કરવામાં આવી શકે છે.
6 સહઆરોપીઓને નિર્દોષ જાહેર કરાયા
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સેસન્શ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ડીકે સોનીએ આસારામને આ કેસમાં દોષી માન્યા છે. તેમને સજાનું એલાન થવાનું છે. જ્યારે આ કેસમાં આસારામના પત્ની અને પુત્રી સહિત કુલ છ સહઆરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં.આસારામના વકીલ સીબી ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કેસની ફરીયાદ 2013માં કરવામાં આવી હતી જ્યારે પીડિતાએ જે આરોપો મૂક્યા છે તેનો સમયગાળો 2001નો છે. આ કેસમાં પહેલાં 8 આરોપીઓ હતાં. જેમાંથી આસારામ બાપુ અને અન્ય છને આરોપી બનાવ્યા હતા અને એક આરોપી જેનું નામ અખિલ છે, તેને પ્રોસિક્યુશને સાક્ષી બનાવ્યા હતા.”
2014માં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી
તેમણે વધુમાં કહ્યું, આ રેપ કેસમાં વર્ષ 2014માં જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી, તેમાં સાતને આરોપી દર્શાવવામાં આવ્યા હતા. વર્ષ 2016માં આરોપો નક્કી (ચાર્જ ફ્રેમ) કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લાંબી મેરેથોન સુનાવણી બાદ આસારામને કોર્ટે સજા કરી છે અને બાકીના છ આરોપીઓ તેમના પત્ની, તેમના દીકરી અને તેમના આશ્રમનાં ચાર મહિલા વ્યવસ્થાપકોને મુક્ત કરવામાં આવ્યાં છે. ચુકાદાનો અભ્યાસ કરીને તેઓ આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે.