ગાંધીનગરના કોલવડાની મહિલાને વિધર્મી પતિ અને તેના સાત મિત્રોએ લગ્ન પછી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપી બળજબરીથી દુષ્કર્મ ગુજારવામાં આવતાં પેથાપુર પોલીસ મથકમાં પતિ અને તેના ભાઈ, ભાણેજ, સહિતના મિત્રો વિરુદ્ધ ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે.
મુસ્લિમ ધર્મ અંગિકાર કરી લેવા મહિલા પર દબાણ કરાયું
ગાંધીનગરના કોલવડા ગામની મહિલાને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરવા ભારે પડી ગયા છે. પતિ સાથે છૂટાછેડા લીધા પછી મહિલા વિધર્મી યુવકના સંપર્કમાં આવી હતી. જેનાં પગલે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્યારે લગ્નના થોડા વખતમાં જ વિધર્મી યુવક તેના મિત્રોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાં મહિલાને અસહ્ય યાતનાઓ આપી વારાફરતી દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. જે મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પતિ સાથે છુટાછેડા લીધા બાદ પ્રેમી સાથે લવમેરેજ કર્યા હતા
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોલવડાની મહિલાએ પહેલા પતિ સાથે મનમેળ નહીં આવતાં છૂટાછેડા લઈ લીધા હતા. જે પછી વર્ષ 2014 માં મહિલા અમદાવાદના જુહાપુરામાં રહેતા ઇસ્માઇલ બાદરખાન મલેકનાં સંપર્કમાં આવી હતી. જે પરિચય પ્રેમમાં પરિણમતા મહિલાએ અમદાવાદમાં એક મોલવી થકી પ્રેમ લગ્ન કરી લીધા હતા. બાદમાં અનેક અરમાનો લઈને 35 વર્ષીય મહિલા પતિ ઇસ્માઇલના ઘરે રહેવા ગઈ હતી.એ વખતે ઇસ્માઇલનો ભાઈ તેમજ મિત્રો કાદર ખાન, બાબા ખાન, શાહરુખખાન, ભાણેજ સોહેલ, મોલવી ઘરે આવતાં જતાં રહેતાં હતાં. જેથી મહિલા પતિના મિત્રો અને ભાઈઓની આગતા સ્વાગત કરતી હતી. જો કે લગ્નના થોડા વખતમાં ઇસ્માઇલ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઇસ્માઇલ શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. તો મહિલાની મરજી વિરૃધ્ધ દારૂ પીને દુષ્કર્મ પણ આચરતો રહેતો હતો.
‘દંપતીના ઝઘડાનો લાભ ઉઠાવી મિત્રોએ દુષ્કર્મ આચર્યું’
બીજી તરફ દંપતીના ઝઘડાનો લાભ ઉઠાવી ઇસ્માઇલનો એક ભાઈ, સહિતના ઉક્ત ઈસમો મહિલાને સાંત્વના આપીને ઘરે જઈ પતિની ગેરહાજરીમાં દુષ્કર્મ ગુજારતા રહેતા હતા. પરંતુ ઈજ્જત જવાની બીકે મહિલા પાસે ચૂપ રહેવા સિવાય કોઈ રસ્તો નહોતો. આ બધો સિલસિલો સાતેક વર્ષ સુધી ચાલે રાખ્યો હતો. તો સમય જતાં મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાં અનહદ યાતનાઓ આપવામાં કોઈ કસર બાકી રાખી ન હતી.
પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
આખરે કંટાળીને થોડા વખત અગાઉ મહિલાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જે મામલે સેકટર – 7 પોલીસમાં પણ જાણવા જોગ ફરિયાદ દાખલ થઇ હતી. તેમ છતાં પતિ સહિતના ઉક્ત ઈસમો દુષ્કર્મ આચરતાં રહેતા હોઈ આખરે મહિલાએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.