વડોદરા કેસમાં નવો ધડાકો: દુષ્કર્મના દિવસે અશોક જૈન ગુજરાતમાં હતા જ નહીં!
- અશોક જૈન લખનૌમાં હોવાના પુરાવામાં એર ટિકિટ અને હોટલ બીલ કોર્ટમાં રજુ કરાયા
- અશોક જૈનને જામીન નહીં આપવા પીડિતાએ 10 પેજનું એફીડેવિટ મુકયુ
- વોન્ટેડ આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણી પુરી હવે તા.8મીએ ચુકાદ

- અશોક જૈન લખનૌમાં હોવાના પુરાવામાં એર ટિકિટ અને હોટલ બીલ કોર્ટમાં રજુ કરાયા
- અશોક જૈનને જામીન નહીં આપવા પીડિતાએ 10 પેજનું એફીડેવિટ મુકયુ
- વોન્ટેડ આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણી પુરી હવે તા.8મીએ ચુકાદો
વડોદરા શહેરના હાઈપ્રોફાઈલ રેપકેસમાં વોન્ટેડ આરોપી ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનની આગોતરા જામીન અરજીના સંદર્ભમાં ફરીયાદી પક્ષ અને બચાવ પક્ષના વકીલોની વિસ્તૃત દલીલો સંપન્ન થઈ હતી. પીડિતાએ આરોપીને આગોતરા જામીન નહિં આપવા ઉપર ભાર મુકયો હતો. જયારે અશોક જૈનના વકીલે સુનાવણી વખતે તા. 2જી અથવા 3જી સપ્ટેમ્બર 2021ના રોજ રેપ ગુજારવાનો આક્ષેપ છે તે દિવસે અશોક જૈન ગુજરાતમાં જ ન હતા તેવા પુરાવા સ્વરુપે એર ટિકીટ- બોર્ડિંગ પાસ અને લખનઉની હોટલનું બિલ રજુ કર્યુ હતુ. બંન્ને પક્ષે દલીલો પૂર્ણ થઈ ચુકી છે તા.8મી ઓકટોબરે ચુકાદો જાહેર થવાની શકયતા છે.
શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી 24 વર્ષીય વિદ્યાર્થિનીએ ગઈ તા. 19મી સપ્ટેમ્બર 2021ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં શહેરના ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક અશ્કરણ જૈન (ઉ.વ.69) (રહે,રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) તથા પાવાગઢ મહાકાળી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ત્રંબકલાલ ભટ્ટ (ઉ.વ.55) (રહે, મિલન પાર્ક, નિઝામપુરા) સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આ ગુનામાં રાજુ ભટ્ટ અને તેને ભગાડવા માટે મદદ કરનારા રેલવે સ્ટેશન પાછળની હાર્મની હોટલના માલીક કાનજી મોકરીયા (રહે, ફોર્ચ્યુન એમ્પાયર,અલકાપુરી સોસાયટી)ની ધરપકડ થઈ ચુકી છે.
એફ.આઈ.આર.માં પહેલા નંબરના આરોપી અશોક જૈને પોલીસની ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી હાથ ધરાતા મુખ્ય સરકારી વકીલ અનીલ દેસાઈએ તપાસ અધિકારીનું 08 પેજનું એફીડેવિટ રજુ કર્યુ હતુ અને આગોતરા જામીન નહીં આપવા માટે દલીલો કરી હતી.
આજે તા.5મી ઓકટોબરે હાથ ધરાયેલી સુનાવણી વખતે પીડિતાના વકીલે પણ આગોતરા જામીન નહીં આપવા માટે 10 પેજનું સોગંદનામુ રજુ કર્યુ હતુ. અશોક જૈનના વકીલે તા.1લીએ સવારે વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી લખનઉની એર ટિકીટ, લખનઉની હોટલમાં કરેલા રોકાણ તા.3જીએ હોટલ ચેક આઉટ કરીને લખનઉથી દિલ્હી અને તા.4થીએ વહેલી સવારની દિલ્હીથી વડોદરાની એર ટિકીટ તથા બોર્ડિંગ પાસ રજુ કર્યા હતા .
પોલીસે એફીડેવિટમાં જાહેર કર્યા પ્રમાણે તા.૨જી અથવા ૩જી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ નિસર્ગ કોમ્પલેકસમાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો ત્યારે અશોક જૈન ગુજરાતમાં જ હાજર નહોતા તેવા પુરાવા મુકયા હતા.અશોક જૈનના વકીલે 100 કરતા વધારે પાનાના દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. આગોતરા જામીન અરજીની સુનાવણી પુરી થઈ ચુકી છે. આગામી તા.8મીના રોજ ચુકાદો જાહેર થવાની શકયતા છે.