સસરાએ પુત્રવધુના પિતા બની જવાબદારી લીધી
ચાર પરિવાર કન્યાદાનમાં જોડાયા
અનોખા અને પ્રેરણાદાયી લગ્નનું આયોજન
મોરબીના શનાળા ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોઈ પણ યુગલના પુન:લગ્નમાં બન્ને પક્ષના યુગલ પરિવાર જોડતા હોય છે. પણ મોરબીના શનાળામાં માળિયા મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના આગેવાનોની હાજરીમાં યોજાયેલ આ અનોખા લગ્નની ખાસિયત એ હતી કે આ વિધિમાં દીકરીના માતાપિતા, સાસુ સસરા તેમજ સામે પક્ષમાંથી પણ યુવકના અગાઉના સાસુ-સસરા પણ હાલ દીકરીના માતાપિતા બનીને કન્યાદાન કર્યું હતું.

15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી
આમ લગ્ન વિધિમાં કન્યાદાન વખતે એક બે નહી પણ ચાર પરિવાર જોડાયો હતો. તો ખુદ સસરા જ પુત્રવધુના પિતા બની વિધિની જવાબદારી લીધી હતી. સાથે સાથે પુત્રવધુ અને પૌત્રીના સુરક્ષિત ભવિષ્ય માટે રૂપિયા 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી હતી.
પુત્રવધુના લગ્ન કરાવે તેવી ઘટના જવલ્લે
આકસ્મિક ઘટનામાં નાની ઉમરમાં દંપતી ખંડિત થઇ જતા હોય છે. બાદમાં આ એકલા પડી ગયેલ યુવક યુવતીઓને એકલવાયુ જીવન જીવવું પડતું હોય છે. આ એકલવાયા જીવનમાંથી તેમને બહાર લાવવું જરૂરી બનતું હોય છે. સમાજમાં ધીમે ધીમે નાની ઉમરમાં વિધવા કે વિદુર થયેલા યુવક યુવતીઓના લગ્ન થવા લાગ્યા છે. જોકે તેમાં સામાન્ય રીતે આ લગ્ન દીકરીના માવતર કરાવતા હોય છે જોકે ખુદ સાસુ સસરા માતા પિતા બનીને પુત્રવધુના લગ્ન કરાવે તેવી ઘટના જવલ્લે જ બનતી હોય છે.

દોઢ વર્ષની પૌત્રીની ભવિષ્યની પણ ચિંતા રહેતી
મોરબીના શનાળા ગામમાં રહેતા નરભેરામભાઈ ગોવિંદભાઈ ફૂલતરીયાના પુત્ર નીપુલભાઈનું કોરોનાના કારણે અવસાન થતા પુત્રવધુ ચંદ્રિકાબેન નાની ઉમરમાં જ વિધવા બન્યા હતા. પુત્રના મોતના દુ:ખની સાથે પરિવારને પુત્રવધુ અને માત્ર દોઢ વર્ષની પૌત્રીની ભવિષ્યની પણ ચિંતા રહેતી હતી જેથી. તેઓએ પુત્રવધુના પુન:વિવાહનો નિર્ધાર કર્યો હતો બીજી તરફ મહેન્દ્રનગર ગામમાં રહેતા જીતેન્દ્રભાઈની પત્નીનું પણ બીમારીના કારણે અવસાન થયું હોવાથી તેઓને પણ તેમના પુત્ર માટે માતાની હુંફ આપી શકે તેવા પાત્રની શોધ હતી.

માળિયા મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના ડો.મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને મહેશભાઈ સાદરીયા સહિતના પ્રયાસથી આજે આ બન્ને યુગલના વેવિશાળ સાથે સાથે પુન:લગ્ન પણ કરાયા હતા. આ લગ્નમાં ચંદ્રિકાબેનના સસરા નરભેરામભાઈ ગોવિંદભાઈ ફૂલતરિયા, પિતા રમેશભાઈ ઘોડાસરા, જીતેન્દ્રભાઈનાપિતા રેવાભાઈ બપોદરીયા અને જીતેન્દ્રભાઈના સસરા બચુભાઈ અમરશીભાઈ કલોલા સહિતના વિધિમાં હાજર રહી કન્યાદાન કર્યું હતું.