બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત બે દિવસથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. ગતરાત્રી દરમિયાન વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહિતના પંથકમાં વાદળછાયુ વાતાવરણ બાદ મધરાત્રીના વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યો છે. ઘઉં, રાયડો બટાકા, સહિતના તૈયાર પાકોને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકોને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.