કેન્દ્રિય બજેટ અંગે વિધાનસભા વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય અને કૃષિના બજેટમાં ઘટાડો કરીને ભાજપની કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને નુકશાન કર્યું છે. ભાજપની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી ત્યારે દેશનું દેવું રૂ. 55 લાખ કરોડ હતું, જે વધીને અત્યારે રૂ. 155 લાખ કરોડે પહોંચ્યું છે.
અમિત ચાવડાએ બજેટને ચૂંટણીલક્ષી અને સાંભળવું સારું લાગે પણ હકીકત સામે આવે ત્યારે કંઇ ન મળે તેવું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિકાસશીલ દેશમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિના વિકાસનું લક્ષ્ય રાખવું તે મહત્ત્વનું છે, પણ કેન્દ્રની ભાજપ સરકારે શિક્ષણ, આરોગ્ય અને કૃષિના બજેટમાં ઘટાડો કર્યો છે. કૃષિથી તો ગ્રામ્ય જીવનને અસર પહોંચશે પણ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી આપતી મનરેગા જેવી યોજનાના બજેટમાં પણ રૂ. 30 હજાર કરોડનો ઘટાડો કર્યો છે, પરિણામે ગામડાઓમાં રોજગારી છીનવાઇ જશે.
તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારે ચૂંટણી વખતે પાકા મકાનનો, ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપ્યો, પણ તે વાયદો હજુ પૂરો થયો નથી. મોંઘવારી,બેરોજગારી,રૂપિયાનું સતત અવમૂલ્યન, સરહદ પર ચીનની ઘૂસણખોરી જેવા ગંભીર મુદ્દાઓનું ઠોસ આયોજન બજેટમાં નથી.