પતિ, પત્ની, ઓર વો:અમદાવાદમાં પરિવાર નવા ઘરમાં રહેવા ગયો, પતિને પાડોશણ સાથે પ્રેમ થયો, પત્ની અને દીકરાને મારીને ઘરમાંથી કાઢી મુક્યાં
- પતિ પડોશણના પ્રેમમાં એટલો પાગલ હતો કે પત્ની અને દીકરાને મૂઢ માર મારતો હતો
- પ્રેમિકા અને પતિએ માર મારતા માતા અને દિકરાએ ઘર છોડીને ભાગવું પડ્યું
- પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
જુના ઘરમાંથી નવા ઘરમાં જવાની ખુશી દરેકને હોય છે. ઘરની સાથે અનેક સપનાઓ પણ જોડાયેલાં હોય છે. અમદાવાદમાં પણ એક પરિવાર મોટા સપનાઓ સાથે જુના ઘરમાંથી નવા ઘરમાં રહેવા ગયો હતો. નવા ઘરની બાજુના મકાનમાં રહેતી મહિલાએ ઘરના મોભીનું મન મોહી લીધું હતું. આ દિવસથી પરિવારમાં અશાંતિ શરૂ થઈ ગઈ હતી. ઘરના મોભી એટલે કે પતિનો પડોશણ સાથેનો પ્રેમ એટલી હદે પાંગર્યો હતો કે તેની પત્ની અને બાળકો સાથેની લાગણી પણ ભુલાઈ ગઈ હતી. પતિએ પત્ની અને બાળકોને માર મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતાં. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને પોલીસે હાલ પતિ અને પ્રેમિકા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
માંડ માંડ નવું ઘર લીધુ અને નવી લાઈફ શરૂ કરી હતી
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક પરિવાર જુના મકાનમાં રહેતો હતો. ધીમે ધીમે કરીને એક એક રૂપિયો ભેગો કરી આ પરિવારે નવું મકાન ખરીદ્યું હતું. આ મકાનમાં પતિ, પત્ની અને બાળક નવા સપનાઓ સાથે સારી જીંદગી જીવવા માટે રહેવા ગયાં હતાં. પતિ રાજેશ, પત્ની રાગિણી અને દીકરા રોહનને નવા મકાનમાં જવાનો ખૂબ ઉત્સાહ હતો. નવા મકાનમાં તેમણે ધીમે ધીમે સામાન ગોઠવ્યો અને નવી જીંદગી જીવવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન હસતા રમતા પરિવારને કોઈની નજર લાગી ગઈ અને પડોશમાં રહેતી માયા આ પરિવારમાં આવી ત્યારથી ઘરના વાતાવરણમાં અશાંતિ સર્જાવા માંડી હતી.પ્રેમિકાને કારણે પતિ તેની પત્ની અને બાળકોને મારતો હતોપતિને પાડોશણ સાથે પ્રેમ પાંગર્યો
પાડોશમાં રહેતી માયા રાજેશના મકાનમાં આવતી થઈ ત્યારથી રાજેશ તેને પ્રેમ કરવા માંડ્યો હતો. એટલું જ નહીં માયાને પણ રાજેશ સાથે પ્રેમ થયો હતો. બીજી બાજુ આ બાબતની જાણ થવા છતાં રાગિણી પોતાનો સંસાર ભાંગે નહીં તે માટે બધું મુંગા મોઢે સહન કરતી હતી. માયાના ઘરમાં કોઈ ન હોય ત્યારે રાજેશ એકલતા માણવા જતો હતો. આ વાતનો વિરોધ કરે તો રાજેશ રાગિણીને ઢોર માર મારતો હતો. સતત માર સહન કરતી રાગિણી એક દિવસ માયાની વાત રાજેશને કરી તો રાજેશ માયાને ફોન કરીને બોલાવી અને બંને જણાંએ ભેગા મળીને રાગિણીને માર મારવાનું શરૂ કર્યું હતું.પત્નીને પતિએ એટલી હદે મારી કે તેને હોસ્પિટલ ખસેડવી પડી
માયા અને રાજેશે રાગિણીને એટલી હદે માર માર્યો કે તેના શરીર પર ચાઠા પડી ગયા હતા. આ સમગ્ર મામલે રોહન બધું જાણતો હતો માતાને માર ખાતા જોઈને રોહન વચ્ચે પડ્યો અને રોહનને પણ માર માર્યો હતો. જેમ તેમ કરીને મા દીકરો ત્યાંથી ભાગી ગયા અને પોતાના પરિચિત ને ફોન કરીને તેમને ત્યાં ગયા હતા. રાજેશ ત્યાં પણ અટક્યો નહીં અને રાગિણી અને રોહનને મારવા લાગ્યો હતો. આ વખતે રાગિણીને તેના પતિ રાજેશે એટલી હદે મારી હતી કે તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી. જ્યાં તેણે પોતાની સાથે બનેલી તમામ ઘટના પોલીસને જણાવી છે પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અહેવાલ – વિજયસિંહ દરબાર