વેજલપુરના શ્રીનંદનગરમાં પત્નીની હત્યા કરાવનાર મધ્યપ્રદેશના આઈબી ઓફિસરને વેજલપુર પોલીસે ઝડપી ૧૪ દીવસના રિમાન્ડ મેળવ્યા છે. કોર્ટના હુકમ મુજબ પત્નીને નવ લાખનું ભરણપોષણ ના આપવું પડે તે માટે આરોપીએ મિત્રને સાધ્યો હતો. પત્નીની હત્યા કરાવ્યા બાદ આરોપી છ માસથી ફરાર હતો.
મિત્રને પત્નીની હત્યાની સોપારી આપી હતીઃ છ મહિનાથી આરોપી ફરાર હતા
વેજલપુરમાં શ્રીનંદનગરમાં રહેતાં મનીષા દુધેલની હત્યા કરાયેલી લાશ તેઓના ફલેટમાંથી મળી આવી હતી. હત્યારાએ મહિલાને છરીના અસંખ્ય ઘા માર્યાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે બનાવને પગલે ખલીલુદ્દીન નામના આરોપીની ધરપકડ કરતા સમગ્ર બનાવમાં સોપારીનો એંગલ ખુલ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે, મૃતક મનીષાબહેનના પતિ રાધાકૃષ્ણ મધુકર દુધેલે તેની પત્નીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. પોલીસ તપાસમાં આરોપી રાધાકૃષ્ણ મધ્યપ્રદેશના ઈન્ટેલીજન્સ બ્યૂરોમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો પોલીસને મળી હતી. છ મહિનાથી ધરપકડ ટાળવા માટે ભાગતા ફરતા આરોપી રાધાકૃષ્ણ દુધેલને વેજલપુર પોલીસે ઝડપી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ તપાસમાંં પત્નીએ કરેલા ભરણપોષણના કેસમાં કોર્ટે નવ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ રકમ ચુકવવી ના પડે તે માટે આરોપીએ હત્યા કરાવ્યાની પોલીસને શંકા છે. આરોપીના મૃતક મહિલા સાથે ત્રીજા લગ્ન હોવાનું અને અગાઉની પત્નીઓથી છૂટાછેડા લીધાનું ખુલ્યું છે.