ગાંધીનગરના ભાટ ખાતે આવેલ આત્રે એક્ષોટીકા બંગલોઝમાં સાફ સફાઈ અર્થે આવેલી ત્રણ અજાણી ઘરઘાટી મહિલાઓ ઘરની સફાઈ કરવાના બહાને રૂ. 6.40 લાખના સોનાના દાગીના ચોરીને પલાયન થઈ જતાં અડાલજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના ભાટ ગામ આત્રે એક્ષોટીકા બંગલોઝમાં રહેતાં કેતન પ્રકાશ જાંગયાની ફૂટવેર બનાવવાનો વ્યવસાય કરે છે. ગત તા. 29 જાન્યુઆરીના રોજ રોજિંદું કામ અર્થે આવતી ઘરઘાટી રસીલાબેન ઉર્ફે માયાબેન હસુભાઇ ધ્રાંગધરીયા ગામડે લગ્ન પ્રસંગે પાંચ દિવસ માટે ગઈ હતી.
બીજા દિવસે તેમના માતા અને પત્ની ઘરે હાજર હતા. ત્યારે અજાણી ત્રણ મહિલાઓ બપોરના સમયે અત્રેની સોસાયટીમાં ગઈ હતી. અને કેતનભાઈના માતા સાથે ઘરના કામકાજની વાત કરી હતી. જેથી તેમના માતાએ ત્રણમાંથી એક મહિલાને ઘરે કામ અર્થે બોલાવી હતી. પરંતુ ત્રણેયે એકસાથે કામ કરવાની વાત કરી ત્યાંથી નીકળી ગઈ હતી.
અને તા. 30 મી જાન્યુઆરીએ બંગલામાં કામ કરીને જતી રહી હતી. એજ રીતે 31 મી જાન્યુઆરીએ પણ કામ કરવા ગઈ હતી. જો કે આ વખતે અચાનક કામ અધૂરું મૂકીને રાખીને અત્રેના બંગલા નંબર – 8 નું કામ પતાવીને પરત આવીએ છીએ કહીને જતી રહી હતી. જે આજદિન સુધી પરત ફરી ન હતી. બીજી તરફ ગત તા. 4/2/2023 નાં રોજ મરણ પ્રસંગે જવાનું હોવાથી કેતન ભાઈનાં માતાએ દાગીના પહેરવા માટે રૂમના ડ્રોવરનું ખાનું ખોલ્યું હતું.
ત્યારે માલુમ પડયું હતું કે અંદર રાખેલ સોનાની ચાર નંગ બંગડી તેમજ જેન્ટ્સ માટેનુ કંગન ગાયબ હતા. આથી તેમણે વધુ તપાસ કરી હતી પરંતુ ઉક્ત દાગીનાનો કયાંય પત્તો લાગ્યો ન હતો. જેનાં પગલે કેતનભાઈએ ઘરના સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં ત્રણેય મહિલાઓની સાફ સફાઈ દરમ્યાન શંકાસ્પદ હિલચાલ દેખાઈ હતી. બાદમાં કેતનભાઈ ઓફિસ કામ અર્થે વ્યસ્ત થઈ જતાં આજરોજ અજાણી ત્રણ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.