આ ભેટ રબારી સમાજના શિક્ષણ અને મંદિરના નિરમાણમાં વાપરો: મુખ્યમંત્રી
શિવધામ ભાળીનાત તરભ મુકામે મુખ્યમંત્રીની રજતતુલા
વિસનગરના તરભ શિવધામ વાળીનાથ મંદિરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાળીનાથ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમને પાલખીમાં બેસાડીને સ્ટેજ પર લઇ જવામાં આવ્યા હતા જ્યાં રબારી સમાજ દ્વારા રજતતુલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યુ હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના સરળ સ્વાભાવને કારણે લોકોના મનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર મુખ્યમંત્રી મળ્યા છે. અમારા મુખ્યમંત્રી ખૂબ ભોળા છે. એ પોતે કહે છે કે હું સરળ સ્વભાવનો છું. કોઇ તેમની પાસે હા ન પડાવી જાય એટલે અમારે મુખ્યમંત્રીનું ધ્યાન રાખવું પડે છે.
બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે તમારે સમાજ માટે જે કામ પડે, જે કામ હોય તેનું લિસ્ટ બનાવી લઇને આવજો. રબારી સમાજના અગ્રણીઓની સાથે હંમેશા મળવાનું થયું છે જેના નાતાથી સારા સંબંધો બંધાય છે અને સંબંધો પણ હુંફાળા રહે છે.
સરકાર તરીકે હંમેશા રબારી સમાજ સાથે ઊભા રહીશું. અમારા મંત્રીમંડળમાં યુવાન ને ઉત્સાહી ટીમ છે. જે કામ કરવા માટે હંમેશા તત્પર છે. ગુજરાતમાં મારી રબારી સમાજે પ્રથમ જે રજતતુલા કરી છે તેનો મને ઘણો આનંદ થયો છે. આ ચાંદીનો ઉયોગ સમાજના ઉચ્ચ શિક્ષણ અને મંદિરના નિર્માણમાં વાપરશો.
મહત જયરામગિરિ બાપુએ મુખ્યમંત્રીને આશીર્વાદ આપી ચાદર ઓઢાડી સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મહારાષ્ટ્રના વિપક્ષ નેતા પ્રવિણ દરેકરનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી રબારી સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું.
