સરકાર દ્વારા અમને ૨૫ હજાર સુધીની લોન ૧૦ હજારની સબસીડી આપવામાં આવી છેઃ શ્રીમતી સાવિત્રી
સમગ્ર ભારતમાં આઠ સ્થળોએ યોજાયેલા મેળાઓમાં શ્રેષ્ઠ કલાકારીગરી માટે ચાંદ સ્વ-સહાય ગ્રુપને આઠ જેટલા મેળાઓમાં શીલ્ડ અને ઈનામો મળી ચુક્યાં છેઃ
સુરતઃશુક્રવારઃ- પ્રાચની કાળથી ભારતીય સંસ્કૃતિમાં હસ્તકળાનું અનેરૂ મહત્વ રહેલું છે. ઘર શુશોભન માટે કાળક્રમે અનેકવિધ કળાઓનું સર્જન થયું. હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાં પણ માટીથી બનાવવામાં આવેલી અનેક ચીજવસ્તુઓ મળી આવી હતી. આવી કલાના કસબી હરિયાણાની સન્નારીઓ દ્વારા માટીમાંથી બનાવવામાં આવેલી ગૃહસુશોધન માટે ફેંગસુઈ, બુધ્ધ, રાધા-કૃષ્ણની મૂર્તિઓ અડાજણ ખાતે યોજાયેલા સરસમેળામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પોતાની કળા વિશે માહિતી આપતા શ્રીમતિ સાવિત્રી ચંદ કહે છે કે, અમારી કલાને ઉજાગર કરવાનું કાર્ય સરકારે કર્યું છે. સરકારની પ્રેરણાથી અમો બહેનોએ સાથે મળીને ૭ વર્ષ પહેલા દર મહિને ૧૦૦ રૂપિયાની બચત કરીને ચાંદ સ્વ-સહાય ગ્રુપ બનાવીને શરૂઆત કરી હતી.
હરિયાણાના નુંદ જિલ્લાના અહમદબાસ ગામ ખાતેની આ બહેનો દેશભરમાં અનેક સ્થળોએ મેળાઓમાં પોતાની હસ્તકલા દ્વારા આર્થિક ઉપાર્જન પણ મેળવે છે. શ્રીચંદએ કહે છે કે, અત્યારે અમારા મંડળ પાસે ૮૪ હજારનું એકત્રિત ભંડોળ ઉપલબ્ધ છે. અમારા ગ્રુપની સખી મંડળની બહેનોને સારા-માઠા પ્રસંગોએ સરળતાથી આંતરિક ધિરાણ મળી રહે છે. તેઓએ કહ્યું કે, કાચો માલ ખરીદવા માટે સરકાર દ્વારા અમને ૨૫ હજાર સુધીની લોન ઓછા વ્યાજ દરે અને તેમાં ૧૦ હજારની સબસીડી પણ આપવામાં આવી હતી. જેના કારણે અમે શૂન્યમાંથી સર્જન કરવામાં ધણી મદદ મળી છે.
વધુમાં સાવિત્રીબેને જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા અમારી કલાને અન્ય લોકો સુધી પહોચે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સરકાર દ્વારા દેશભરમાં મેળાઓ આયોજીત કરીને અમારી ચીજવસ્તુઓને માર્કેટ પુરૂ પાડવામાં આવે છે. જેમાં આવવા-જવા, રહેવા, જમવાની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે. એક મેળામાં અમારે અંદાજે દોઢથી બે લાખ સુધીનું વેચાણ થાય છે. જેનાથી અમે અમારા ઘરનો રોજિંદો ખર્ચ સરળતાથી મેળવી શકીએ છીએ. સાથે સાથે બચત પણ થાય છે. અમે છેલ્લા સાત વર્ષથી દેશના અનેક મેળાઓમાં ભાગ લીધો હતો તેમાંથી આઠ જેટલા મેળાઓમાં શ્રેષ્ઠ કલાકારીગરી માટે શીલ્ડ અને ઈનામો મળી ચુક્યાં હોવાનું તેમણે કહ્યું હતું.
અડાજણના મેળામાં ઘર સુશોભનની અવનવી ચીજવસ્તુઓ તૈયાર કરી વેચાણ કરતી હરિયાણાની સન્નારીઓઃ
Views 62