અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં પતિ નોકરીએ ગયો, પત્ની દિવ્યાંગ બાળકને શાળાએ મૂકવા ગઈ એ દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી તાળું તોડી 4.61 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ છે. અંજાર તાલુકાના મેઘપર-બોરીચીના પારસનગરમાં રહેતા ફરિયાદી નરેશકુમાર વાશીરામ તેજવાણી (ભાનુશાલી)એ અંજાર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, સવારે તેઓ નોકરીએ ગયા હતા. દરમ્યાન તેમના પત્ની શ્રવણ દિવ્યાંગ બાળકને શાળાએ મુકવા ગયા હતા અને તેમનું મકાન બંધ હતું. પરત આવીને જોતાં ઘર ખુલ્લું હતું અને તીજોરી તૂટેલી જોવા મળી હતી. તેમાંથી સોના-ચંદીના વિવિધ દાગીનાઓ કે જેની કિંમત રૂ. 61,500 દર્શાવવામાં આવી હતી. તે ઉપરાંત રોકડા રૂ. 4,00,000 એમ કુલ મળીને 4,61,500ની કિંમતની વસ્તુઓ અને રોકડ, ઉપરાંત બેંક ખાતાની પાસબુક, એ.ટી.એમ. કાર્ડ વગેરેની ઉઠાંતરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘરનું તાળું તુટેલું હોવાથી તસ્કરોએ તસ્કરી કરી હોવાનું જણાતાં અંજાર પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ઈપીકો કલમ 380, 454 મુજબનો ગુનો નોંધી તસ્કરોને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.