દહેગામ તાલુકાના બહિયલ ગામે આવેલા ઇન્દિરા નગરના એક મકાનમાંથી શનિવારે પોલીસે બાતમીના આધારે રેડ કરી 290 કિલો ગૌમાંસના જથ્થા તેમજ કતલ કરવાના સાધન સહિત ત્રણ વ્યક્તિઓને ઝડપી લઇ તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ પણ સામેલ હોવાથી પોલીસે કુલ છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
દહેગામના બહિયલ ગામે આઉટ પોસ્ટ પીએસઆઈ આર.વી.મોરી સહિતની ટીમે શનિવારે બાતમીના આધારે ઇન્દિરાનગર ખાતેના એક મકાનમાં રેડ કરી હતી.જયાંથી પોલીસે 290 કિલો ગૌમાંસના જથ્થા એક પેટી ફ્રિઝ, છરા અને લાકડાના ગોળ ટુકડા પાટલી,,વજન કાંટા સહિતના મુદ્દામાલ સાથે મુસ્તુફા ઈબ્રાહીમભાઇ સિપાઈ, સબ્બીરમિયાં ફકીરમહંમદ બેલીમ તેમજ સદ્દામમિયાં ફકીર મહંમદ બેલીમ (રહે-બહિયલ તાલુકો દહેગામ)ને ઝડપી લીધા હતા.
આ બનાવમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે તેઓની ઊંડાણપૂર્વકની તપાસમાં આ ગુનામાં નઈમભાઈ જહીરભાઈ કાજી,કાલુભાઈ બરકતભાઈ સૈયદ તેમજ યુસુફભાઈ વલીભાઈ મનસુરી ત્રણેય (રહે- બહિયલ તાલુકો દહેગામ) પણ સામેલ હોવાનું તેમજ યુસુફભાઈ વલીભાઈ મનસુરીએ ગાય આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા આ બનાવમાં પોલીસે કુલ છ શખ્સો સામે પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ તેમજ પ્રાણી ક્રૂરતા અધિનિયમની કલમ હેઠળ ગુનો દાખલ કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બહિયલના ઇન્દિરાનગરના એક મકાનમાં કસાઇઓ દ્વારા રીતસરનું કતલખાનું ચલાવાઇ રહ્યું હતું. જેને પોલીસે ઝડપ્યું હતું.