અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિને સવારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અન્ય ભાવિક મંડળો દ્વારા શક્તિપીઠ ગબ્બર ઉપરની અખંડ જ્યોતને ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી હતી. અને પરિક્રમા માર્ગ પરના તમામ 50 શક્તિ પીઠોની જ્યોત થી જ્યોત મિલાવી પ્રજ્વલિત કરવામાં આવી હતી. એ સાથે જ મોટી સંખ્યામાં પરિક્રમા કરાતા સમગ્ર ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી હતી. પરિક્રમાં મહોત્સવના ત્રીજા દિને 65,000 જ્યારે ત્રણ દિવસમાં 1,65,500 ભાવિકોએ માતાજીના દર્શન કરી પાવન બન્યા હોવાનુ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે.
150 સફાઇ કર્મીઓ દ્વારા તળેટી વિસ્તારને ચોખ્ખો ચણાક કરાયો
શ્રી 51શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત સમગ્ર પરિક્રમા માર્ગ અને અંબાજી યાત્રાધામને પ્લાસ્ટિકમુક્ત કરવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. પ્લાસ્ટિકની બેગોના વિતરણ પર પ્રતિબંધ મુકાયો છે. ગબ્બર મુખ્ય ગેટ, 51 શક્તિપીઠ પરિક્રમા મહા આરતી સ્થળ, આર.ટી. ઓ સર્કલ, આબુરોડ તરફનો ગજદ્વાર, વિશ્રામ ગૃહથી શક્તિપીઠ સર્કલ, સિંહ દ્વાર અને મયુરદ્વાર સહિતના સ્થળોએ 150 કરતાં વધુ સફાઈ કામદારો સ્વચ્છતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમજ હાથ લારીઓ, ટેક્ટરો દ્વારા અંબાજી થી દુર નિયત કરેલ ડમ્પીગ સાઇડે કચરાના નિકાલની કામગીરી કરી રહ્યા છે.
સફાઈ કામદારોના આ સેવાયજ્ઞથી અંબાજી ચોખ્ખું ચણાક લાગી રહ્યું છે.બીજી બાજુ દાંતાના મોટાસડાની જયશ્રી દ્વારિકાધીશ સરસ્વતી વિદ્યાલયના એન. એસ. એસના 50 સ્વયં સેવકો પણ સેવા યજ્ઞમાં સહભાગી બની યાત્રિકોને પીવાના પાણીથી માંડી સ્વચ્છતા અને તબીબી સેવા જેવી વિવિધ સેવામાં પરોવાઈ ઉમદા સેવા બજાવી હતી.