દેશભરમાં કોરોનાથી મોતના કોઈ સમાચાર નથી. તેેવામાં બનાસકાંઠા જિલ્લાના થરાદ અને ધાનેરાના કોવિડ પોઝિટિવ બે દર્દીઓના શંકાસ્પદ મોતથી આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો હતો જો કે બંને દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી જાણતાં તેઓ પાછલા ઘણા સમયથી બીમાર હોવાનું ખુલ્યું હતું. ધાનેરાનો 25 વર્ષીય યુવક બાપલાના અનાપુર છોટા ગામનો વતની દર્દી 2 વર્ષથી જ્યારે થરાદનો 18 વર્ષનો યુવક થરાદના તખુવામાં ખેત મજૂર દર્દી એક મહિનાથી બીમાર હતો. ઉપરાંત જિલ્લામાં વધુ 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં એક ધાનેરાનો અને એક લાખણીનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર સિવિલમાં થોડા દિવસ અગાઉ બે કેસ પોઝિટિવ આવ્યા હતા. જે બન્નેના મોત થયા છે. મૃતક દર્દીઓના મેડિકલ હિસ્ટ્રી અંગેની તપાસ કરાવતા 25 વર્ષીય વિનેશ સોલંકી નામના દર્દીને છેલ્લા બે વર્ષથી ફેફસાંની શ્વાસની તકલીફ હતી અને ટીબીની દવા ચાલુ કરી હતી.
ત્યારબાદ ફેફસામા ફંગલ ઇન્ફેક્શન વધી ગયું હતું. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર કરી હતી અને 17 જાન્યુઆરીએ છાતીમાં દુ:ખાવો થતાં પાલનપુર સિવિલમાં સારવાર માટે લાવતા તેની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. દરમિયાન 20 જાન્યુ.એ મોત થયું હતું. જ્યારે 18 વર્ષીય મહેશ માજીરાણાના પિતા બાડમેર થી ચાર મહિના અગાઉ થરાદ તાલુકાના તાખુવા ગામમાં ખેત મજૂર તરીકે આવ્યા હતા જ્યાં તેમના પુત્ર મહેશ પણ આવ્યો હતો અને અવારનવાર રાજસ્થાન અવરજવર કરતો હતો ચાર જાન્યુ.
એ તે બીમાર પડતાં થરાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ડોક્ટરની પરવાનગી વગર તે તાખુવા જતો રહ્યો હતો ફરી તકલીફ વધી જતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને 15 જાન્યુઆરીના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેનું 20 જાન્યુઆરી એ મોત થયું હતું.
વધુ 2 કેસ આવ્યા….
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના દરરોજ આરટીપીસીઆર અને એન્ટીજન સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે. શનિવારે 966 આરટીપીસીઆર અને 589 એન્ટીજન મળી 1555 સેમ્પલ લેવાયા હતા જે પૈકી બે કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં એક ધાનેરા અને એક લાખણીનો સમાવેશ થાય છે.
બ.કાં.માં 65.18 લાખ લોકોએ રસી લીધી
કોવિન વેબસાઇટ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 65.18 લાખ લોકો વેક્સિન લઇ ચૂક્યા છે. જે પૈકી 26.17 લાખએ પ્રથમ, 27.47 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. એટલે કે, હજુ 1.30 લાખ લોકો એવા છે કે, જેમણે બીજો ડોઝ લેવાનો બાકી છે.
જ્યારે 11.54 લાખ લોકોએ બુસ્ટર ડોઝ લઇ ચૂક્યા છે. એટલે કે બીજા ડોઝ બાદ હજુ 58 ટકા જેટલા લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે. શનિવારે 8 સેન્ટર પરથી 71 લોકોએ વેક્સિન લીધી હતી. આ તમામે બુસ્ટર ડોઝ લીધો હતો.