બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
કાલોલ તાલુકાના ખરસાલીયા ગામના ભરતભાઈ ઉદાભાઈ સોલંકીના પુત્ર અંકીત સોલંકીના લગ્ન પ્રસંગે શુક્રવારે રાત્રે વરઘોડો નીકળ્યો હતો. પરંતુ આ વરઘોડા સામે હાલમાં ચાલી રહેલ કોરોના સંક્રમણ અંગે જીલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં હોવાનુ જાણવા છતાં સરકારી ગાઈડલાઈનનો ભંગ કરી ૩૦૦થી વધુ માણસો એકત્ર કરી ડીજે સાથે લગ્નનો વરઘોડો કાઢી સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા વેજલપુર પોલીસ એક્શનમાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે સાંજે વેજલપુર પોલીસને સોશિયલ મીડિયા દ્વારા ખરસલીયા ગામે ચાલી રહેલા લગ્નના વરઘોડાનો વાયરલ થયેલ વિડિયો મળતાં વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરાવતા લગ્નના વરઘોડામાં વરરાજા પોતે અન્યના પરવાનાવાળી ૧૨ બોરની બંદુક વડે જાહેરમાં હવામાં ફાયરિંગ કરી બેદરકારીભર્યું કૃત્ય કર્યુ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.
તદ્ઉપરાંત વરઘોડામાં ગામના જયદીપકુમાર અરવિંદભાઈ દ્વારા જાહેરમાં ખુલ્લી તલવાર લઈને ટોળામાં નાચગાન કરતો હોવાનો પણ વિડિયો પોલીસને હવાલે કર્યો હતો. જેને પગલે વેજલપુર પોલીસે અંકિતકુમાર ભરતભાઈ સોલંકી અને જયદીપકુમાર અરવિંદભાઈ સોલંકી (બંને રહે. ખરસલીયા) સામે આર્મ એક્ટની કલમ ૩૦, ઈ પી કો કલમ ૩૩૬,૨૮૬ તથા જી પી એક્ટની કલમ હેઠળનો ગુનો જ્યારે ભરતભાઈ ઉદાભાઈ સોલંકી (રહે. ખરસાલીયા) સાગર મહેશભાઈ માછી ( રહે. આજવા રોડ વડોદરા) સામે એપેડેમિક ડીસીસ એકટ હેઠળ અને ઇ.પી.કો.કલમ ૨૬૯,૨૭૦,૧૮૮,૧૧૪ મુજબનો અલગ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.