વાવાઝોડાને કારણે બાબા વેંગાની આંખો જતી રહી હતી
કડવી-મીઠી યાદો સાથે 2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહી છે. કોરોનાકાળમાં દરેકને નવું વર્ષ નવી આશાઓ લઈને આવે એવી અપેક્ષા છે. આવનારા વર્ષને લઈ પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બલ્ગેરિયાની નેત્રહીન વાંગેલિયા પાંડવા ગુશ્ટેરોવા ઉર્ફે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2022માં ધરતી પર પ્રલય આવશે અને ભારતમાં ભૂખમરો આવશે. તો ચાલો, જાણીએ બાબા વેંગા વિશે….
કોણ છે બાબા વેંગા
બાબા વેંગાનો જન્મ બલ્ગેરિયાના સ્ટ્રુમિકામાં 31 જાન્યુઆરી 1911ના રોજ થયો હતો. બાબાનું પૂરું નામ વાંગલિયા પાંડેવા ગુશતરોવા હતું. જોકે લોકો તેમને પ્રેમથી બાબા વેંગાના નામથી બોલાવતા હતા અને પછીથી તેઓ આ જ નામથી ઓળખાવા લાગ્યા હતા. જન્મના થોડા સમય પછી તેમની માતાનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પિતાને શંકાસ્પદ જાસૂસ ગણીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. એ પછીથી બાબા વેંગાની સ્થિતિ બદલાઈ ગઈ. તેઓ સંપૂર્ણ રીતે તેમની આસપાસના લોકોની દયા અને સંવેદના પર જ નિર્ભર થઈ ગયા હતા. આસપાસના લોકો જ તેમની જમવાની વ્યવસ્થા કરવા લાગ્યા હતા.
વાવાઝોડાને કારણે આંખો જતી રહી
એક દિવસ બાબા વેંગાની સાથે એક રહસ્યમય ઘટના બની હતી. કોઈને આ ઘટના વિશે કંઈ જ ખ્યાલ નથી. જોકે બાબા વેંગાએ પોતાની ટેસ્ટિમનીમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, એક જોરદાર વાવાઝોડામાં ફસાયા પછી તેઓ કોઈ જગ્યાએ પડી ગયાં હતાં. લાંબી શોધખોળ પછી તેઓ મળ્યાં હતાં. તેમની આંખોમાં રેતી ભરાઈ ગઈ હતી અને બાબા વેંગાને ખૂબ જ દર્દ થઈ રહ્યું હતું. સમય પસાર થવાની સાથે ઈજા તો મટી ગઈ, પરંતુ તેમની આંખો જતી રહી હતી.
ભાઈના હત્યારાઓ વિશે જાણવા આવેલો સૈનિક બની ગયો જીવનસાથી
આંખો જતી રહ્યા પછી બાબા વેંગાને એક અલગ તાકાતનો અનુભવ થયો હતો.એને પગલે તેઓ નાની-મોટી બીમારીઓની સારવાર પોતાની જાતે જ કરવા લાગ્યાં. આ સિવાય તેઓ કોઈ ઘટનાને લઈને અનુમાન કરે એ સત્ય સાબિત થતા હતા. એક વખત એક સૈનિક તેમની પાસે પોતાના ભાઈના હત્યારાઓ વિશે જાણવા આવ્યો હતો. બાબા વેંગાએ બલ્ગેરિયાના આ સૈનિક દિમિત્ર ગુશ્તરોવને હત્યારાઓ વિશે જણાવ્યું હતું. સાથે જ તેમની પાસેથી વચન લીધું હતું કે તે તેમનો બદલો લેશે નહિ. થોડા દિવસો પછી આ જ સૈનિકે તેમની સાથે લગ્ન કર્યા હતા.
કેન્સરથી થયું હતું બાબા વેંગાનું મૃત્યુ
બીજા વિશ્વ યુદ્ધમાં બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી. વર્ષ 1996માં બાબા વેંગાનું બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયું હતું. ત્યાં સુધીમાં મોટા-મોટા રાજકારણીઓથી લઈને સામાન્ય લોકો સુધીના ઘણા લોકો તેમના શિષ્ય રહ્યા હતા. બાબાને જાતે લખતા કે વાંચતા આવડતું નહોતું. તેઓ કહે અને લોકો લખ્યા કરતા હતા. આ રીતે બાબા વેંગાની ભવિષ્યવાણીઓનું કલેક્શન થયું હતું. તેની પર બુક્સ લખાઈ છે અને ફિલ્મો પણ બની છે. વેંગાની ભવિષ્યવાણીના કમ્પાઈલેશનમાં ‘Vanga. A Look at Russia’ નામના પુસ્તકને સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. બાબા વેંગાએ પોતાના મૃત્યુ પહેલાં સોવિયત યુનિયનનું વિઘટન, 9/11 હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, ચેર્નોબિલની દુર્ઘટના જેવી ભવિષ્યવાણી કરી હતી. તેમની 85 ટકા ભવિષ્યવાણીઓ સત્ય સાબિત થઈ છે.
પુતિનની હત્યા
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા માટે ષડયંત્ર રચવામાં આવશે. રશિયાની અંદર જ તેમના જીવનું જોખમ વધશે. પુતિનની હત્યાના પ્રયાસને ફગાવી શકાય નહિ, કારણ કે 2012માં જ તેમને મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
વિશ્વમાં આવશે કુદરતી હોનારત
ભવિષ્યવાણી મુજબ, સમગ્ર વિશ્વમાં પ્રલય થાય એવી હોનારતો આવશે. લોકોની વિચારવાની ક્ષમતાને અસર થશે. વિશ્વના લોકો માટે આ એક મુશ્કેલીભર્યો સમય હશે.
મનુષ્ય બ્રહ્માંડમાં જીવનની શોધ કરશે
બાબાની ભવિષ્યવાણી મુજબ, મનુષ્ય બ્રહ્માંડમાં જીવનની શોધ કરી લેશે અને એ જાણવા મળશે કે અંતે પૃથ્વી પર જીવનની શરૂઆત કઈ રીત થઈ. આગામી 200 વર્ષમાં મનુષ્ય બીજી દુનિયા સાથે સંપર્ક કરી શકશે.
આકાશમાં ઊડવા લાગશે ટ્રેન
ભવિષ્યવાણી મુજબ, માણસ સૂર્યથી ટ્રેન ચલાવી શકશે. આ ટ્રેન પાટા પર ચાલવાની જગ્યાએ હવામાં ઊડશે. વિશ્વમાં પેટ્રોલનો કારોબાર બંધ થઈ જશે. હાલ સમગ્ર વિશ્વમાં સૌર ઊર્જાને લઈને કાર્ય થઈ રહ્યું છે.
આ છે વેંગાની ભવિષ્યવાણીઓ
પોતાના 50 વર્ષના કાર્યકાળમાં તેમણે 100થી વધુ ભવિષ્યવાણીઓ કરી છે. તેઓ કહેતા હતા કે કોઈ અદૃશ્ય શક્તિ તેમને આ જ્ઞાન આપે છે. તેમને માનનારા કહે છે કે તેમની ભવિષ્યવાણીમાં 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલો હુમલો, 2004નું સુનામી, મૂળ આફ્રિકાની વ્યક્તિનું અમેરિકાના પ્રેસિડન્ટ બનવું, 2130માં એલિયન્સ અને માણસ મળીને પાણીની નીચે શહેર વસાવવું સામેલ છે.