શીખ સમુદાયમાં ગુરુનાનક જયંતી નિમિત્તે અખંડ પાઠ, ભજન-કીર્તન, ભોગ સાહેબનું આયોજન
મંદિરોમાં દેવદિવાળીની રંગારંગ ઉજવણી થશે,
કાર્તિક સ્વામી દર્શન સાથે તુલસી વિવાહ સમાપ્ત
હિન્દુ સમુદાયમાં સૌથી મોટું પર્વ ગણાતા દિપોત્સવીની ઝાકમઝોળ શહેરમાં હજું દેખાઇ રહી છે. શહેરના વેપાર-ધંધામાં હજુ દિવાળી વેકેશનના દિવસોમાં મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. એવામાં આજે શુક્રવારે દેવદિવાળી પર્વની ઉજવણી સાથે જ દિપોત્સવી પર્વ વિધિગત રીતે સંપન્ન થશે.
દેવદિવાળી, કાર્તિકી પૂર્ણિમા અને ગુરુનાનક જયંતીના સંયોગ સાથે જ શહેરમાં વિવિધ કાર્યક્રમોનો દૌર જામશે. દરમિયાન શહેરમાં વસતા શીખ સમુદાયના લોકો દ્વારા પૂજા-પાઠ, અખંડ પાઠ, ભજન-કિર્તન અને ભોગ સાહેબ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

શુક્રવારે કારતક સુદ પૂનમ નિમિત્તે બપોરે 2.28 વાગ્યે પૂર્ણિમાની તિથી છે. જ્યારે શનિવારે સવારે 6.29 વાગ્યા સુધી કૃતિકા નક્ષત્ર છે. એટલે કે શુક્રવારે કૃતિકા નક્ષત્રમાં જ દેવદિવાળી પર્વ ઉજવાશે. શુક્રવારે આખો દિવસ પરિઘ યોગ છે અને બાલવ કરણ છે. કાર્તિકી પૂર્ણિમા, દેવ દિવાળી, ગુરનાનક જયંતી, તુલસી વિવાહ-કાર્તિક સ્નાન સમાપ્ત, કાર્તિક સ્વામી દર્શનની ઉજવણી થશે.
શહેરમાં વિવિધ મંદિરો, હવેલીઓમાં દેવઉઠી એકાદશીથી તુલસીવિવાહનો આરંભ થયો હતો. મંદિરોમાં તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્ન, મહાઆરતી સહિતના આયોજનો કરાયા હતા. હિન્દુ સમુદાયમાં વર્ષોથી ચાલી આવતી પ્રણાલી અને લોકવાયકાને આધારે દર વર્ષે કારતક સુદ પૂનમે દેવદિવાળીની ઉજવણી કરાઇ છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં ખૂબ જ ધામધૂમથી દેવદિવાળી મનાવવામાં આવે છે.