દ્વારકાધીશ જગતમંદિરમાં તા.15 મીએ સોમવારે દેવઉઠી એકાદશીની ઉજવણી
સોમવારે સાંજે ગોપાલજી સ્વરૂપનો વરઘોડો નિકળશે
ઠાકોરજીને તુલસીપત્રને બદલે બિલીપત્ર ચઢાવવાનું મહાત્મ્ય
દ્વારકાધીશ જગતમંદિરમાં તા.15 મીએ સોમવારે દેવઉઠી એકાદશીના શુભ દિને ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમથી લગ્ન યોજાશે. આ દિવસને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવવામા આવે છે. આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે. સતત ચાર માસથી શયન કરી રહેલા ભગવાનને જગાડવામા આવે છે. આથી આ દિવસને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે.
દ્વારકાધીશ મંદિર પરિસરમા શારદાપીઠ સંચાલિત રાણીવાસમા મંદિરોના પૂજારી વિજયભાઈ અને આનંદભાઈના જણાવ્યા પ્રમાણે સાંજે 6 કલાકે રાણીવાસમા આવેલ ગોપાલજી સ્વરૂપનો વરઘોડો વાજતેગાજતે નીકળશે. જે શહેરના માર્ગો પર ફરી પુનઃ રાણીવાસમા પધારશે. રાત્રીના રાણીવાસ પરિસરમા શ્રાીજીના તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાશે.
જગત મંદિર પુજારી પ્રણવભાઈના જણાવ્યા મુજબ સાંજે 5થી9.30 દરમિયાન નિજ મંદિરમાં ઠાકોરજીના બાલ સ્વરૂંપનુ શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાશે. આ ઉપરાંત રિધ્ધિ સિધ્ધિ યુવા ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.14મીએ તુલસીવિવાહની ઉજવણી કરવામા આવશે.
શ્રીજી ભગવાનના તુલસીમાતા સાથેના વિવાહના કારણે આ દિવસે તુલસી ચઢાવવાનો નિષેધ છે. તેના બદલે ભગવાનને બીલીપત્ર ચઢાવવાનુ મહત્વ છે. કારતક સુદ નોમથી તુલસીવાસનુ વ્રત કરનાર બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના દરેક સ્વરૂપની ષોડસોપચાર પુજા કરી શંખ, ઘંટ અને મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલી અર્પણ કરાય છે. તુલસીમાતાને સૌભાગ્યના શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.