સૌભાગ્યવતીઓ પતિના દીર્ઘાયુ માટે કડવા ચોથનું વ્રત કરશે
રોહિણી નક્ષત્રમાં કડવા ચોથ, રાત્રીએ 8.48એ થશે ચંદ્રોદય
ચંદ્રદર્શન પછી પાણી ગ્રહણ કરવાની પરંપરા
પતિ, જીવનસાથીના દીર્ઘાયુ માટે વિવિધ સમુદાયની મહિલાઓ દ્વારા કડવા ચોથ, વટસાવિત્રીનું વ્રત સહિતના વિવિધ વ્રત કરવામાં આવે છે. ગુજરાતની મહિલાઓમાં વટસાવિત્રી વ્રત કરવાનું મહત્વ છે. જ્યારે ઉત્તર ભારત અને રાજસ્થાની સમુદાયની મહિલાઓ કડવા ચોથનું વ્રત કરે છે.
જે અંતર્ગત રવિવારે કડવા ચોથને લઇને ઉત્તર ભારતીય, રાજસ્થાની સમુદાયની મહિલાઓએ તડામાર તૈયારીઓ આટોપી દીધી છે. દરમિયાન સૌભાગ્યવતીઓ પતિના દીર્ઘાયુ માટે વ્રત કરશે. જેમાં હવે ગુજરાતી મહિલાઓને પણ કડવા ચોથ કરવાનું ઘેલુ લાગ્યું છે.

સામાન્ય રીતે દર મહિનાની ચતુર્થી(કૃષ્ણપક્ષ)ને સંકટ ચોથ કહેવામાં આવે છે. પરંતુ આસો કૃષ્ણ પક્ષ ચોથને કડવા ચોથના રૂપમાં મનાવવામાં આવે છે. રવિવારે કડવા ચોથ મનાવવામાં આવશે. જેમાં પરિણીત સ્ત્રીઓ પતિના આયુષ્ય, સમૃદ્ધ માટે ભગવાન શિવ, મા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની પૂજા કરશે. જ્યારે રાત્રિએ ચંદ્રમાના દર્શન કરી, ચંદ્રને અર્ધ્ય આપી પૂજા કરીને વ્રત ખોલશે.
દક્ષિણ ભારત કરતા ઉત્તર ભારતમાં કડવા ચોથનું મહત્ત્વ વધુ છે. તેમ છતાં હવે ગુજરાતી મહિલાઓમાં વટસાવિત્રી વ્રતની સાથે જ આ કડવા ચોથ કરવાનું ચલણ વધી રહ્યું છે. બીજીબાજુએ રવિવારે રાજસ્થાન, ઉત્તર ભારતીય સમાજ સાથે જોડાયેલા મહિલા મંડળો, વિવિધ મંદિરોમાં કડવા ચોથની સામૂહિક ઉજવણીના આયોજનો કરાયા છે.
