UAEમાં યોજનાર ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને નવા કોચ મળવાનું નક્કી છે
ટી-20 વર્લ્ડ કપ બાદ કોચ રવિ શાસ્ત્રીના સ્થાને અનિલ કુંબલે કે વીવીએસ લક્ષ્મણને ટીમ ઇન્ડિયાના કોચ બનાવવામાં આવી શકે છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાલ ટી-20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે આગળ આ પદ પર રહેવાનો ઇનકાર કરી દીધો છે.
ન્યૂઝ એજન્સીએ BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના હવાલેથી જાણકારી આપી હતી કે ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે વીવીએસ લક્ષ્મણ અને અનિલ કુંબલેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો છે કે આ બંને પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કોચ મહેલા જયવર્ધને પણ ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે સંપર્ક કર્યો હતો.
કુંબલેની દાવેદારી મજબૂત
રવિ શાસ્ત્રીના કોચ પદેથી દૂર થયા બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રહી ચૂકેલા અનિલ કુંબલેની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે. આ પહેલા 2016માં કુંબલેને ભારતીય ટીમના કોચ નિમણૂંક કરાયા હતા. તેમણે 2017માં આ પદ પરથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે કુંબલેએ ભારતીય કેપ્ટન કોહલીની સાથે અણબનાવના કારણે પોતાના પદ પરથી દૂર થવાનો નિર્ણય લીધો હતો.
કુંબલેએ પોતાના રાજીનામાંમાં કહ્યું હતું કે તેઓ હેરાન હતા કે કોહલીને તેમના વ્યવહારથી મુશ્કેલીઓ હતી. કુંબલેએ કહ્યું હતું કે BCCIએ તેમના અને કોહલીના અણબનાવવ સમાધાન લાવવાના પ્રયાસ કર્યા હતા. રિપોર્ટ મુજબ વિરાટે ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 કેપ્ટનથી દૂર થવાની જાહેરાત કરી હતી. એવામાં હવે અનિલ કુંબલેને ફરીથી તેની જવાબદારી આપવામાં આવી શકે છે.