મહેસાણા ખાતે રૂ.૨.૭૫ કરોડના ખર્ચે નિર્મિત ઘનિષ્ઠ પશુ સુધારણા કચેરી અને મહેસાણાની પાંજરાપોળની સામે મહેસાણા-રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા રૂ.૬૨ કરોડના ખર્ચે નવનિર્મિત કમળ પથનું લોકાર્પણ કર્યું. વધુ વિસ્તારને આવરી લેતો આ નવીન રસ્તો મહેસાણાના વિકાસ માટે વધુ લોકઉપયોગી પુરવાર થશે. વિકાસ, સમૃદ્ધિ, આરોગ્ય અને લોકસુખાકારી માટે કાર્યરત રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્ને સાકાર કરતો કમળ પથ આ પ્રકારનો રાજ્યનો પ્રથમ રસ્તો છે. વરસાદી અને ગંદા પાણીના નિકાલ માટેના નાળામાં થતી ગંદકી અને તેના કારણે આસપાસના રહીશોને પડતી મુશ્કેલીને નિવારવા નાળા પર રસ્તો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસ્તો બનવાના કારણે વરસાદી પાણીના નિકાલ માટેના નાળામાં થતી ગંદકી અટકવા સાથે મહેસાણા-રાધનપુર રોડથી મોઢેરા રોડ સુધી સલામતીભર્યો અને સરળ માર્ગ ઉપલબ્ધ બન્યો છે. મહેસાણા-રાધનપુર રોડથી દેદીયાસણ ગામ તરફ જતાં વરસાદી પાણીના નાળા પર બોક્સ કલવર્ટ સિસ્ટમ પર આધારીત ૨૧૦૦ મીટરની લંબાઈના ફોરલેન કમળ પથ પર ક્રેશ બેરિયર, સ્ટ્રીટલાઈટ અને રોડ ફર્નિચર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ કમળ પથની બંને બાજુ આસપાસની સોસાયટીઓના ગંદા પાણીના નિકાલ માટે ૧૧૦૦ મી.મી. વ્યાસની ગટરલાઈન પણ નાખવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોથી લઈ આદિવાસી વિસ્તારો સુધી પીવાના શુદ્ધ પાણી, વિજળી અને વાહનવ્યવહાર સહિતની માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહેસાણામાં પણ આ અવિરત વિકાસયાત્રાને આગળ વધારવા મહેસાણા-મોઢેરા સર્કલ પર અંડરપાસથી લઈ બેચરાજી-ચાણસ્મા રોડને ફોરલેન કરવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
ripotar by jagdish solanki